24 December 2019

આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ. મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે રાજા આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.

એકવખત કોઇ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નિકળ્યો. શિકારની શોધમાં એ ખુબ જ આગળ નીકળી ગયો અને રસ્તો ભુલી ગયો.આ ગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો. પેલો યુવાન રાજાને પોતાના નેસમાં લઇ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મુકી ગયો.

રાજા આ ભરવાડ યુવાન પર ખુબ રાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે.યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા. ભરવાડ રાજાને ત્યાં નોકરીએ રહી ગયો. રાજા તેના પર વિશ્વાસ રાખીને જુદા-જુદા કામો સોંપતો જાય અને યુવાન પુરી નિષ્ઠાથી એ કામો કરતો જાય.

બહુ થોડા જ સમયમાં આ યુવાન રાજાનો સૌથી માનિતો પ્રધાન થઇ ગયો આથી બાકીના દરબારીઓ આ યુવાનની ઇર્ષા કરવા લાગ્યા.યુવાન આખો દિવસ શું કરે છે એ બરાબર ધ્યાનથી જોવા લાગ્યા. આ નિરિક્ષણ વખતે એક બાબત ધ્યાનમાં આવી કે યુવાન રોજ નગરની બહાર આવેલી એક અવાવરુ ઓરડીમાં એકલો જાય છે અને અડધો કલાક આ ઓરડીમાં રહે છે.

દરબારીઓએ રાજાને આ બાબતે ફરીયાદ કરી. રાજા એ યુવાન અને બધા દરબારીઓને સાથે લઇને પેલી ઓરડી પર તપાસ કરવા માટે ગયા. બધાને એમ હતું કે યુવાન આ ઓરડીમાં કોઇ સંપતિ ભેગી કરીને સંતાડતો હશે.ઓરડી ખોલી તો આખી ખાલી હતી એક ખુણામાં માણસના કદનો એક અરિસો હતો એ સિવાય કંઇજ નહી. બધા દરબારીઓ ભોંઠા પડી ગયા. એક દરબારીનું ધ્યાન ગયુ કે અરિસાની પાછળ એક પોટલીમાં કંઇક સંતાડેલું છે. એ પોટલી બહાર કાઢી એટલે ભરવાડે તે ન ખોલવા રાજાને વિનંતિ કરી પણ રાજાએ બધાની હાજરીમાં એ પોટલી ખોલી તો એમાંથી ભરવાડના જુના કપડા નિકળ્યા.
રાજાએ આ વિષે યુવાનને પુછ્યુ ત્યારે યુવાને સ્પષ્ટતા કરતા કહ્યુ , " રાજાજી આ બધા જ દરબારીઓની વાત સાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અને પછી આ પ્રધાનના કપડા કાઢીને ભરવાડના કપડા પહેરુ છુ અને પછી અરીસામાં જોઇને મારી જાત સાથે વાત કરુ છું કે તું મૂળભુત રીતે તો આ અરિસામાં દેખાય છે તે ભરવાડ જ છે આ તો માત્ર રાજાની કૃપાથી તું પ્રધાન બન્યો છે અને તું ત્યાં સુધી જ પ્રધાન છે જ્યાં સુધી રાજા ખુશ છે જ્યારે રાજા રુઠશે ત્યારે ફરી ભરવાડ જ થઇ જવાનો છે માટે સત્તાના નશામાં તું તારી જાતને ભુલી ન જતો."
મિત્રો, આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ. મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે રાજા આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.