🌈 *વિકેન્ડ એક્સ્ટ્રા પોસ્ટ* 🌈
*"એક આચાર્યનો અંતરાત્મા"*
*વાર્તાકાર: મુકેશ સોજીત્રા*
વરસાદ કાલ મધરાતનો વરસી રહ્યો હતો. ગામની આજુબાજુ આવેલા રસ્તાઓ હવે લગભગ પાણીમાં ગરકાવ થવાની તૈયારીમાં હતા. શાળા રાબેતા મુજબ ખુલ્લી હતી. બાળકો લગભગ કોઈ આવ્યા નહોતા . નજીકના ઘરોમાંથી મોટા ધોરણના છોકરાઓ આવ્યા હતા . શાળાના સીનીયર શિક્ષીકા દક્ષાબેને એ બાળકોને કેરમ કાઢી આપ્યું એટલે અમુક કેરમ રમી રહ્યા હતા . અમુક લાયબ્રેરીમાંથી પુસ્તકો કાઢીને વાંચી રહ્યા હતા. શાળામાં જેટલી સંખ્યામાં બાળકો હતા એની ત્રણ ગણી સંખ્યામાં વૃક્ષો હતા. વરસાદમાં નાહીને વૃક્ષો નવપલ્લવિત થઇ ગયા હતા. ખરા અર્થમાં રળિયામણી શાળા હતી. હવે તો આઠ ધોરણ અને આઠ શિક્ષકો હતા બસોની આજુબાજુ સંખ્યા હતી. ત્રણ શિક્ષકો હજુ આઠ માસ પહેલા જ આવ્યા હતા . એ બધા અપર પ્રાયમરીમાં હતા . લોઅરમાં જુના પાંચ શિક્ષકો હતા. આચાર્ય વાસુદેવભાઈ હતા. આજ ગામમાં નોકરીની શરૂઆત કરી હતી અને હવે નિવૃત થવામાં આઠેક વરસ બાકી રહ્યા હતા. આજુબાજુની આઠ થી દસ શાળામાં અને તાલુકામાં વાસુદેવ ભાઈનો એક દબદબો હતો. એક ખાસ માન હતું. સન્માન હતું. ગામમાં પણ વાસુદેવભાઈ ને લોકો અહોભાવથી જોતા હતા . એને જ કારણે શિક્ષકોને ગામલોકો તરફથી કોઈ જ હેરાનગતિ નહોતી.
બધા જ શિક્ષકો પોણા અગિયાર વાગ્યે આવી ગયા હતા. પણ હજુ સુધી વાસુદેવ ભાઈ આવ્યા નહોતા. અગિયાર થવા આવ્યા હતા અને એક છોકરો આવીને દક્ષાબેન પાસે ઉભો રહ્યો .થોડી વાતચીત થઇ અને દક્ષાબેન ઓફિસમાં આવ્યા . અપર વાળા શિક્ષકો વાતે વળગ્યા હતા. અમુક ડોનાલ્ડ ટ્રમ્પ અને કિગ જોહનની વાતો કરી રહ્યા હતા. એક ચશ્માં વાળો અને પોતાને બુદ્ધીજીવી સમજતો સમાજવિધાનો શિક્ષક મોદીની નિષ્ફળતાઓ ગણાવી રહ્યો હતો. ભાષાના બહેન પોતાના મોબાઈલ દ્વારા વરસાદના વીડીયા જોઈ રહ્યા હતા.આજે બાળકો નહોતા આવ્યા અને ખાસ કરીને આચાર્ય વાસુદેવ ભાઈ નહોતા આવ્યા એટલે શિક્ષકો પાસે મોબાઈલ હતા બાકી શાળામાં શિક્ષક આવે અને હાજરી પત્રકમાં સહી પછી કરવાની પણ એ પહેલા મોબાઈલ બંધ થઈને એક ટેબલના ખાનામાં ગોઠવાઈ જતાં!! દક્ષાબેને હાજરીપત્રક ખોલીને એમાં વાસુદેવભાઈના ખાનામાં આજની રજા મૂકી દીધી અને વળી પાછા એ લોબીમાં પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા અને ધીમીધારે પડતા વરસાદને જોઈ રહ્યા હતા. વરસાદનું જોર ધીમું પડ્યું હતું.
જેવા દક્ષાબેન બહાર ગયા કે ચશ્માં વાળા શિક્ષકે હાજરી પત્રક જોયું. અને બોલ્યો.
“સાહેબ રજા પર છે આજે.. આજે આમ તો એ ન આવે તો પણ ચાલે અને રજા ના મુકે તો પણ ચાલે પણ હરિચંદ્રના ગાડામાંથી પડી ગયા હોય એ જીવનભર અમુક સિદ્ધાંતોનું પુંછડું એવું પકડીને રાખે કે ના પૂછો વાત!!!”
“ એ તો પુંછડું પકડે પણ બીજા પાસે અનુકરણ કરાવે એ સાલું સમજાય એવું નથી. બાકી આપણા મોટા સાહેબનું ખાતું યુરોપિયન જેવું છે. બધું ટાઈમ ટુ ટાઇમ!! શું મળતું હશે આવું કરીને!! અરે માણસ છીએ કાઈ મશીન તો નથી.. કદાચ ક્યારેક પંદર મિનીટ મોડા આવીએ કે વહેલા જઈએ તો શું ખાટુ મોળું થઇ જવાનું છે??? આ આજુબાજુની નિશાળમાં બધું જ હાલે છે ને મને ઓલી હીના કહેતી હતી કે એનો આચાર્ય બહુ સારો એ હમણા વતનમાં ગઈ હતી ચાર દિવસ અને પાછી આવી ત્યારે આચાર્યે સહીઓ કરાવી દીધી.. આને કહેવાય સંઘ ભાવના..આને કહેવાય માણસાઈ ... આને કહેવાય માનવતા અને આપણી આ નિશાળ તો નવી નવાઈની છે દસ મિનીટ પણ મોડું ના ચાલે..તરતા જ અડધી રજા મુકાઇ જાય બોલો” મોબાઈલ બાજુમાં મુકીને ભાષાવાળા રૂપાળા બહેન બોલ્યાં!!
જુના જે ચાર શિક્ષકો હતા એ તો શાળાના પરિસરથી ટેવાઈ ગયેલા અને આ જ ગામમાં રહેતા હતા એટલે એને કોઈ સમય સાથે તકલીફ નહોતી પણ આ ત્રણ નવા આવ્યા હતા આઠ માસ પહેલા એને આ બધા કડક નિયમ કઠતા હતા. પણ વાસુદેવભાઈ નું જીવન જ એવું હતું કે કોઈ નકારાત્મક બાબતો હજુ સુધી એના ધ્યાનમાં આવી નહોતી. શરૂઆતમાં ઘણું ધ્યાન રાખ્યું પણ કોઈ નબળી બાજુ જ જોવા ના મળી. પોતે પણ નિયમનું એટલું જ કડકાઈ થી પાલન કરતા. પોતે સમય સર તો આવે જ ઉપરાંત પોતે પણ મોબાઈલ ફોન બંધ કરીને મૂકી દે અને રીશેષમાં જ ખોલે.શાળાના તમામ પત્રકો એ જાતે જ બનાવતા અને એ પણ શાળા સમય પહેલા કે શાળા સમય બાદ જ!! પ્રાર્થના સભામાં એ સહુથી પહેલા બેસતા. નહિતર આજ કાલ તો પ્રાર્થના સભામાં આચાર્ય બેસે એ ખ્યાલ જ અસ્તિત્વ બહારની વાત છે. દરેક શિક્ષક્ને એક કબાટ આપી દીધો હતો એમાં કાગળ થી માંડીને કાતર અને ચોકથી માંડીને ચાર્ટ પેપર સુધીની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હતી. શિક્ષક્ને કોઈ વસ્તુ લેવા ઓફિસમાં ધક્કો જ નહિ. ઉપરાંત સાડા ત્રણની રીશેષમાં ચા બનતી એનો તમામ ખર્ચ વાસુદેવભાઈ ભોગવતા. શાળામાં કોઈ અધિકારી આવે ને એના માટે ચા નાસ્તો થયો હોય તો પણ તમામ સ્ટાફને એ સહભાગી બનાવતા.શિક્ષકો પાસેથી એક પણ રૂપિયો એણે કદી પણ લીધો નથી. પોતે આચાર્ય હોવા છતાં એ એક ધોરણ લેતા.ફક્ત લેતા જ નહિ પણ ભણાવતા પણ ખરા!! ધોરણ લેવું અને ભણાવવું એમાં લાખ ગાડાનો ફેર છે!! અને સ્ટાફ માટે સહુથી મોટી વાત કે કદી પણ ગામની કે તાલુકાના અધિકારીની સહેજ પણ રંઝાડ કે બીક આ શાળામાં હતી જ નહિ!!
“જેમ તકલીફ છે એમ ફાયદા પણ છે જ ને!! આજુબાજુના ગામમાં જોવો તો ખ્યાલ આવશે કે શિક્ષકોને વાલીઓ ક્લાસમાં આવીને ઘચકાવી જાય છે અને આપણે એ વાત ની તો અહિયાં નિરાંત છે ને અને આપણે જે સમય પુરીએ છીએ એ પ્રમાણે જ આવીએ છીએ.. વધારે રોકાવાનું કહેતા હોય તો આપણે વાંધો ઉપાડી શકીએ.. આ તો બીજી શાળામાં અમુક બાબતો સારી લાગે પણ ત્યાં પ્રશ્નો પણ એવા જ છે ને એ તમને ક્યાં નથી ખબર..!!” ગણિત વિજ્ઞાન વાળા શિક્ષકે જીવન શિક્ષણ વાંચતા વાંચતા કહ્યું.
“એ વાત ની ક્યાં ના છે.. બધી જ રીતે આચાર્ય વંદન કરવાને લાયક છે પણ આ સમયમાં થોડી બાંધ છોડ કરે તો શું ખાટું મોળું થઇ જવાનું છે હું એમ જ કહું છું.. કે થોડું વહેલું મોડું ચલાવી લે તો કયું આભ તૂટી પડવાનું છે?? અને એમાં બધાનો ફાયદો છે ને?? આજ એણે રજા ના મૂકી હોત તો ચાલતને?? તાલુકામાંથી કોણ જોવા આવવાનું છે આ વરસાદમાં??” ભાષા વાળા બહેન પોતે લાવેલ ૨૪ કલાક ઠંડી રહેતી બોટલમાંથી પાણી પીતા પીતા કહ્યું.
“ એ નહિ બને!! એની પાછળ ની એક કહાની છે.. એ કોઈ કાળે નહિ બને” દક્ષાબેને કહ્યું/ બધા ઠરીને ઠીકરું થઇ ગયા. દક્ષાબેન બારણાની વચ્ચે ઉભા હતા . દક્ષાબેન આવીને આ વાતો સાંભળતાં હશે એની તો કોઈને ખબર પણ નહોતી. આચાર્ય વાસુદેવભાઈની કોઈ પણ વાત કરવાની હોય અ ત્રણ શિક્ષકો કોઈ ના હોય ત્યારે જ કરતા. બધાની નજર નીચી થઇ ગઈ હતી. દક્ષા બહેન આવીને એક ખુરશી પર બેઠાં.
“ તમને અમુક બાબતોની ખબર ના હોય ને એટલે સ્વાભાવિક છે કે તમે આવી વાતો કરો છો. આ સ્ટાફમાં આ વાતની કોઈને ખબર પણ નથી.પણ મે ઘણી વાર સાંભળ્યું છે કે સમયના નિયમો તમને થોડા આકરા લાગે છે પણ વાસુદેવ ભાઈ એ ક્યારેય નહિ બદલાવે એનું કારણ હું એકલી જ જાણું છું. અને વાત આગળ વધે અને મતભેદ મનભેદમાં પરિવર્તિત થાય અને શાળાનું વાતાવરણ ખરાબ થાય એ બાળકોના હિતમાં નથી એટલે આજે હું તમને એ વાત જણાવું છું. એક વાત ની સ્પષ્ટતા કરી દઉં કે તમારી કોઈ વાતથી મને દુખ નથી લાગ્યું.. પણ શાળાનું વાતાવરણ જેટલું સારું એટલું જ એમાં તૈયાર થતા બાળકોનું ભવિષ્ય સારું” દક્ષા બેને કહ્યું. બધા એમની સામે એક અહોભાવની નજરે જોઈ રહ્યા. અને દક્ષાબેને વાત શરુ કરી.
“આજથી વીસ વરસ પહેલાની વાત છે . હું આ શાળામાં આવી એને એક વરસ થયું હતું.સાત ધોરણની શાળા અને વાસુદેવ ભાઈ એકલા જ હતા.સંખ્યા પણ ઓછી એટલે નિશાળનું ગાડું ગબડયે જતું હતું. આમ તો સેટ અપ પાંચ શિક્ષક્નુ હતું.પણ અમે બે જ શિક્ષકો કામ કરતા હતા.એ વખતે સમયનું કોઈ જ બંધન નહોતું. હું ક્યારેક સાડા અગિયારે આવું તો ક્યારેક બાર વાગ્યે.. હું પણ અપ ડાઉન કરતી હતી. ઘરનું વાહન નહિ એટલે ગામની રિક્ષા આવે ત્યારે એમાં આવતી હતી. વાસુદેવભાઈ નો સ્વભાવ પણ સારો.પોતે એક પણ રજા ના ભોગવે. બીજાને ભોગવવી હોય તો ભોગવવા દે. ત્રણ ધોરણ એ એકલા લેતા અને મને બે ધોરણ આપેલા.ઉપરાંત આચાર્યની કામગીરી પણ ખરી!! એવામાં એક શિક્ષકની નવી નિમણુક થઇ. સુરત બાજુના એ શિક્ષક હતા નામ એનું નીતિન ભાઈ!! એ હાજર થવા આવ્યા ત્યારે કાર લઈને આવેલા. હાજર થયા પછી એની સાથે આવેલા એના પિતાજી બોલ્યા.
નીતિન ને આ ગામ તો નહીં ફાવે એટલે તમને વાંધો ના હોય તો એક કામ કરોને એ અડધો પગાર તમને આપી દેશે. મહીને ચાર પાંચ દિવસ આવી જશે,વરસ દિવસ આવું ચલાવો ત્યાં અમે બદલી કરાવી લઈશું. વાસુદેવભાઈ તો જાણે છક થઇ ગયા. નીતિન ના પાપા શિક્ષક એની મમ્મી શિક્ષક એના ભાઈ એન્જીનીયર અને એની પત્ની નર્સ હતી. આવા કુટુંબનો મોભી સાવ વાહિયાત વાત કરી રહ્યો હતો. એને સ્પષ્ટ ના પાડી અને કહ્યું એ વાત ના કરતા. જો તમારે નોકરી જ ના કરવી હોય તો સ્વીકારી શું કામ?? બીજા કોઈનો વારો તો આવવા દેવો હતો.. હા તકલીફ હોય તો એનો રસ્તો થાય. બે ત્રણ દિવસ એવી કોઈ કપાણ આવી જાય તો હું ચલાવી લઉં પણ આ પૈસા વાળી વાત રહેવા જ દેજો.. બીજી નિશાળમાં જે ચાલે તે અહી નહિ ચાલે. પછી નીતિન હાજર થયો. એ પણ અપ ડાઉન કરે.અઠવાડિયામાં ચાર દિવસ આવે અને બાકી મજા નહોતી એવા બહાના કાઢે. વાસુદેવભાઈ ને એમ કે ધીમે ધીમે થાળે પડી જશે એટલે ચલવ્યે રાખે. એમાં એક શનિવારે નીતિન આવીને રોવા લાગ્યો કે એમની પત્ની ને ડીલીવરી આવવાની છે અને સુરત જવું છે.નવી નવી નોકરી છે એટલે જાજી રજા નહિ મળે હવે શું કરીશું?? વાસુદેવ ભાઈ પીગળી ગયા અને કીધું કે અઠવાડિયું જતા રહો. હું સંભાળી લઈશ. અઠવાડિયાનું કહીને નીતિન પંદર દિવસે આવ્યો.હાથમાં પેંડાનું બોક્સ હતું.અમને પેંડા આપ્યા અને કહ્યું કે બાબા નો જન્મ થયો છે અને કાચની પેટીમાં રાખ્યો છે. વાસુદેવ ભાઈએ પાછી એને રજા આપી. નીતિન ગયો પાછો પંદર દિવસે આવ્યો. એ વખતે પગાર રોકડમાં ચૂકવાતો. પગાર થઇ ગયો હતો. વાસુદેવ ભાઈએ પગાર આપ્યો. પણ પગાર પહોંચમાં પછી સહી લઈશું એમ કીધું. નીતીને બધી વાતો કરી. હોસ્પીટલમાંથી બાબા અને એની માતાને રજા આપી દીધી છે. મહિના પછી એ ફેમેલી સાથે રહેવા આવી જશે..!! બીજે જ દિવસે વાસુદેવભાઈ બાબા માટે ચાંદીના નાના કડલા લઇ આવ્યા અને નીતીનભાઈ ને કહ્યું કે તમે આ શની રવિ સુરત જાવને ત્યારે આ અમારા તરફ થી બાબા ને કડલા પહેરાવજો.. અમારે અહી કાઠીયાવાડમાં રીવાજ છે કે નાના બાબાનો જન્મ થાય એટલે હરખમાં કશું લઇ દઈએ. વળી બીજી એક વાત નીતિન ટીફીન લીધા વગર આવતો અને વાસુદેવભાઈ એના ઘરે એમને જમાડતા. આમ તો એક મહિનામાં એ માંડ પાંચેક દિવસ નોકરીએ આવ્યો હોય તો.. બીજે દિવસે નીખીલ ના આવ્યો અને વાસુદેવભાઈ ને કામ સબબ તાલુકામાં અચાનક જવાનું થયું. શિક્ષણ શાખાની ઓફિસમાં ગયા કે ખબર પડી કે નીતિન રાજીનામું દઈને હજુ ગયો જ છે. વાસુદેવ ભાઈ દોડ્યા સીધા બસ સ્ટેન્ડ પર જોયું તો એક બાંકડા પર નીતિન બેઠો હતો. વાસુદેવભાઈ ને એટલો ગુસ્સો આવેલો કે એણે સીધી જ બે વળગાડી દીધી નીતિન ના ગાલ પર અને કહ્યું કોડા રાજીનામું આપવું હોય તો મેં ના પાડી હતી.એક તો આખા મહિનાનો પગાર લઇ લીધોઅને પગાર સ્લીપ પર સહી પણ નથી કરી ?? તારે મારા રોટલા અભડાવી નાંખવા છે?? કાઠલો પકડીને નીતિન ને બસ સ્ટેન્ડ બહાર લાવ્યાં. પાકીટમાંથી કાગળ કાઢીને ફટાફટ પગાર સ્લીપમાં નીતિન ની સહી લીધી અને પછી જવા દીધો. તાલુકામાં એક બીજો શિક્ષક શિક્ષણ શાખામાં મળી ગયો એ પણ નીતિન મિત્ર હતો અને સુરતનો જ હતો. ત્યાં વાસુદેવભાઈ એ જે વાત સાંભળી અને એને ચક્કર આવી ગયા. નીતિને લગ્ન જ નહોતા કર્યા. બાળક તો ક્યાંથી હોય..?? ઉલ્લુ પણ બનાવી ગયો અને ચાંદીના કડલા પણ ઝીંકતો ગયો” દક્ષાબેન વાત કરતા ગયા અને બધા ધ્યાન મગ્ન બનીને સાંભળતાં રહ્યા. સહેજ અટકીને એ બોલ્યા.
“બીજે દિવસે નિશાળમાં આવીને એ રડ્યા એક શિક્ષક દરજ્જાનો વ્યક્તિ આટલી હદ સુધી ખોટું બોલી શકે એ માની જ નહોતા શકતા. મને એણે કહ્યું કે દક્ષા બહેન મેં એક મોટું પાપ કર્યું છે. જોકે મારો એમાં સ્વાર્થ નહોતો પણ તોય હું ભગવાનનો ગુનેગાર છું. એ નાલાયક શિક્ષક પાસે ખોટી સહીઓ કરાવી મેં એને હરામનો એક મહિનાનો પગાર આપ્યો. મારે ફક્ત એક લાલચ હતી કે બે ને બદલે ત્રણ શિક્ષકો હોય તો છોકરાને ફાયદો થાય. મારા અંતરાત્માને ચેન નથી પડતું.. મારા થી ભૂલ થઇ ગઈ છે. સરકાર અને ભગવાનનો હું ગુનેગાર છું.. બસ પછી તો બે ત્રણ દિવસ સાવ સુનમુન થઇ ગયા અને ત્રીજા દિવસે આવીને કહ્યું કે આવતા મહિનાનો પગાર હું ઘરે નહિ લઇ જાવ આ નિશાળમાં વાપરીશ.. ભગવાનને હું મારા કરેલા કરમનો હિસાબ હું આપી દઈશ. અને તમે નહિ માનો એની પછી જે પગાર થયો એમાં એણે આવેલ તમામ રૂપિયા આ નિશાળમાં જ વાપર્યા. આ શાળામાં લોખંડ નો ચબુતરો એણે બનાવ્યો અને બાળકોને બે વખત જમાડ્યા. એક પણ રૂપિયો એ ઘરે ના લઇ ગયા. અને પછી એણે હાથમાં પાણી લીધું અને કહ્યું કે નિયમ બારું એક પણ કાર્ય હવે હું કરીશ નહિ.. બસ ત્યાર બાદ આ વીસ વરસ જતા રહ્યા . કોઈ શિક્ષક્ને શાળાના બાળકોના ભોગે કોઈ પણ ફાયદો થાય એવું એક પણ કામ એણે કર્યું નથી. દસ મિનીટ મોડા આવો એટલે એ અડધી રજા મૂકી જ દે!! પોતે મોડા પડે તો પોતાની પણ અડધી રજા મુકીને એ નિશાળમાં કામ કરતા હોય છે. બસ પછી તો આ પ્રામાણીકતા થી એના ચહેરા પર એક વિશિષ્ટ તેજ ઝળકે છે.. તાલુકા કે જીલ્લાના તમામ અધિકારી આ શાળામાં પગ મુકે અને વાસુદેવભાઈ ને જુએ એટલે એને સંતોષ જ થાય!! બહુ ઓછા શિક્ષકોમાં વાસુદેવ ભાઈ જેવું તેજ જોવા મળે છે!!આજે વરસાદ ને કારણે એના ઘરની બાજુમાં એક કાચું મકાન પડી ગયું છે એટલે એ કુટુંબને મદદ કરવા રોકાયા અને એક છોકરા મારફત મને કહેવડાવીને પણ રજા તો મુકાવી જ દીધી છે!! દક્ષા બેને વાત પૂરી કરી. પેલા ત્રણેય શિક્ષકોન ચહેરા પર સંતોષનો ભાવ હતો. એમને એ વાતની ખુશી હતી કે એ શ્રેષ્ઠ આચાર્યની શાળામાં નોકરી કરી રહ્યા હતા.
વાત પૂરી કરીકે ત્યાં જ વાસુદેવ ભાઈ આવ્યા હાથમાં એક ડબ્બો હતો અને સાથે બે છોકરા. આવીને બોલ્યા.
“મારી બાજુમાં જ એક કાચું મકાન વરસાદના પાણી ભરાવાને કારણે પડી ગયું. એટલે એની વ્યવસ્થામાં હતો. એ બધાને રોટલા શાક કરીને ખવડાવ્યા . ઘરમાં લોટ ખૂટી ગયો છે અને દળવાની ઘંટીએ લાઈટ નથી, વરસાદ માંડ બંધ થયો. સવાર થી આમને આમ છું. ચા પણ પીધી નથી. હમણા થોડી વાર પહેલા જ નવરો થયો એટલે તમારી બેનને કીધું કે ઘરમાં ચણાનો લોટ તો છે એટલે મેથીના ભજીયા બનાવી નાંખ એટલે નિશાળે લઇ જાવ સ્ટાફ પણ ભૂખ્યો થયો હશે એટલે એની સાથે ખાઈ લઉં અને આ રહ્યું ટાઢોડુ અને આવા ટાઢોડા માં ભજીયા જેવો એકેય ખોરાક નહિ અને વળી ભૂખ પણ વધારે લાગે એટલે હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાઈ લો” ફટાફટ બધા ખુરશી ઓરી ખેંચીને ટેબલ ફરતા ગોઠવાઈ ગયા અને ભજીયા નો સ્વાદ માણતા ગયા. પેલા ત્રણ શિક્ષકોને આજે ભજીયા પુરા ભાવ્યા હતા. ભજીયાની સાથે સાથે વાસુદેવભાઈ ની પ્રામાણીકતા અને નિષ્ઠાને પણ પેટમાં ઉતારતા ગયા.. વાતાવરણમાં એક અજબ પ્રકારની સુગંધભરી શાંતિ પ્રસરી ગઈ હતી..!!
જીવનમાં અમુક માણસ ને માપવામાટે આપણી પાસે જે માપ પટ્ટી હોય છે એ ક્યારેક નાની પડતી હોય છે. બધા જ માણસને માપવા માટે એક સરખી માપપટ્ટી ક્યારેય કામમાં લાગતી નથી!!
*લેખક :- મુકેશ સોજીત્રા*
૪૨ “હાશ” શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ ઢસા ગામ તા ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
--------------------------
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી,
મહેન્દ્ર મેરવાણા
14-07-2018
તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને *Limited 10 પોસ્ટ ગ્રુપ* માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો
https://www.facebook.com/Limited-10-Post-169886837043261/
[15 ગ્રુપ, 3000 વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી.]