28 December 2018

અક્કડ રહેનારાઓ હારી ગયા  છે અને ઝુકી જનારાઓ જીતી ગયા  છે !

સાગર અને નદી ( બોધ કથા )

સાગરને મળી રહેલી નદી આજે ખુબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું .
નદી કહે , ‘કેટલાંએ વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય  કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેબાજુ હું જાહેરાત કરતી આવી છું  કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત  જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્ર્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’
નદી તો ઉપડી નેતરની સોટી લેવા.નદી મનમાં ગર્વ કરવા લાગી કે જેણે પર્વતના હાલ-બેહાલ કરી નાખ્યા એના માટે નેતરની સોટી તોડી લાવવી એ તો રમત વાત છે. નદીએ ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કુદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતા નેતર વળી પાછું ઊભુ થઈ ગયુ. આ જોઈને નદી વધુ ગુસ્સ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કુદી પણ પરીણામ એનું એ જ ! આખો દિવસ  નદીના આક્રમણો ચાલુ રહ્મા .પણ  નેતર ન તૂટ્યું.! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન, નેતર ક્યાં ?’
‘હું ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયુ ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહું તેનું કારણ ! પર્વતને તું તોડી  શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી કારણ કે તે નમી ગયુ હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતું નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’
સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખુબ મહતવની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા  છે અને ઝુકી જનારાઓ જીતી ગયા  છે !
                                                                
– આચાર્ય વિજયરત્ન સુરિ