26 May 2015

જીવનમાં આવતું સુખ કે દુખ આપણે ડીપોઝીટ કરી છે કે લોન લીધી છે તેના પર આધાર રાખે છે.

એક ગામમાં કોઇ એક બેંકની મોટરકાર આવી. અંતરિયાળ ગામ હોવાથી ગામમાં ભાગ્યે જ મોટરકાર જોવા મળતી આથી ઘણા લોકો ગાડી આવતા જ ભેગા થવા લાગ્યા. મોટરકારમાંથી 4 અધિકારીઓ નીચે ઉતર્યા અને ગામલોકોને છગનભાઇ અને મગનભાઇનું સરનામું પુછ્યુ. લોકોએ બંનેના ઘર બતાવ્યા એટલે બે અધિકારીઓ છગનભાઇને ત્યાં ગયા અને બે અધિકારીઓ મગનભાઇને ત્યાં ગયા.
છગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ છગનભાઇને કહ્યુ , ” ભાઇ , તમે અમારી બેંકમાંથી લોન લીધી હતી. તમે લોનના હપતા નિયમિત ભરતા નથી માટે બેંકે તમારુ આ મકાન જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. અમે બેંક તરફથી આપને ચેતવવા આવ્યા છીએ કે દિવસ 7માં બાકી હપતા સહીતની તમામ લોન ભરપાઇ કરી દો નહીતર તમારા મકાનને જપ્ત કરી લેવામાં આવશે.” નોટીસ આપીને અધિકારીઓ નીકળી ગયા.
મગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ મગનભાઇને કહ્યુ , ” ભાઇ , તમે અમારી બેંકમાં અમુક રકમ ફિક્સ ડીપોઝીટ તરીકે મુકી હતી. તમે મુકેલી રકમ વ્યાજ સહીત બમણી થઇ ગઇ છે. અમારી બેંક હવે ગ્રાહકોને હોમ સર્વિસ પુરી પાડે છે અને માટે તમારી રકમ પરત કરવા માટે અમે આવ્યા છીએ. આ ડોક્યુમેન્ટ પર સહી કરો અને આપની રકમ સ્વિકારો.”
બેંકના અધિકારીઓ છગનભાઇના દુશ્મન નહોતા અને મગનભાઇના સગા નહોતા આમ છતા છગનભાઇને વ્યાજ સહિત રકમ ભરવા માટે સુચના આપી છગનભાઇને અને એના પરિવારને દુખી કર્યા અને મગનભાઇને વ્યાજ સહીત રકમ પરત કરી મગનભાઇ અને એના પરિવારને આનંદ આપ્યો.
મિત્રો , આપણી સાથે પણ આમ જ થાય છે. આપણે કોઇને સ્મિત આપીએ તો એ પણ વ્યાજ સહીત પરત આવે છે અને આંસુ આપ્યા હોય તો એ પણ વ્યાજ સાથે પાછા આવે છે. જીવનમાં આવતું સુખ કે દુખ આપણે ડીપોઝીટ કરી છે કે લોન લીધી છે તેના પર આધાર રાખે છે.