13 June 2015

યોગના ૮ અંગો નું વિસ્તૃત વર્ણન.

યોગા એક સમજ






માનવજાતિએ પ્રગતિના અનેક સોપાનો સર કર્યા છે. એક વખત અસંભવ ગણાતા કાર્યો આપણે કરી બતાવ્યા છે. આપણા પૂર્વજોએ સપનામાઓમાં પણ કલ્પના કરી ન હોય તેવી પ્રાપ્તિઓ અને સિદ્ધિઓ આપણે મેણવી છે. વૈજ્ઞાનિક સંશોધન અને આવિષ્કારોએ આજે જીવનની કયા પલટ કરી નાખી છે વિજ્ઞાન સુખ સગવડના નિત નવા સાધનો માનવજાતિના ચરણે ધરતું જાય છે.પરંતુ પ્રદુષિત હવા પાણી, પ્રદુષિત શરીર તેમજ પ્રદુષિત મન પણ વિજ્ઞાનની જ નીપજ છે. આજના યુવાનોના ચહેરાઓ પર આ નિરાશા અને આ વ્યથા શું કામ છે? તેમજ શુષ્ક અને નિસ્તેજ આંખોમાં અજંપો કેમ દેખાય છે?
આજે આપણે પોતાને આધુનિક અને સુસંસ્કૃત માનીએ શકીએ, પરંતુ સુખી તો નહિ જ. ઊંઘ માટે નીદ્રાકારક ગોળીઓ, મળ વિસર્જન માટે જુલાબની ગોળીઓ અને શક્તિ જાળવવા ટોનીકો વગર આપણને ચાલતું નથી. પીડાનાશક અને ઘેનકારક દવાઓનું ચલણ વધતું જાય છે. યુવાનો આજે માદક પદાર્થો તરફ વળી રહ્યા છે અને અવનતીની ખીણમાં સરકી રહ્યા છે.
સંપતિની લાલસાએ આપણાં હૃદયોને પોષાણ બનાવ્યા છે. જીવન મુલ્યોનો હ્રાસ થતો જાય છે. ઘડિયાળના કાંટે દોડતા સ્પ્ર્ધાતામ્ક જીવને તીવ્ર માનસિક તાણને જન્મ આપ્યો છે. આ તાનના દુષ્પરિણામો પ્રગટ થતા જાય છે. ડાયાબીટીસ અને કેન્સર જેવા બંધારણીય રોગો તેમજ એસીડીટી, હોજરીના ચાંદા, આધાશીશી તથા લોહીના ઊંચા દબાણ જેવા મનોશારીરિક રોગોએ માજા મૂકી છે.
આ માનસિક તાણને, આ અવનીતને આપને કેવી રીતે અટકાવીશું? શું આપણે ગુફાઓમાં પાછા ફરીને આદિમાંનવો જેવું જીવન જીવીશું?
વાસ્તવમાં તેમ કરવું ન તો વ્યવહારુ છે, ન જરૂરી. માનવીની શારીરિક બીમારીઓ કે માનસિક યાતનાઓનો સચોટ ઈલાજ "યોગ" પાસે છે. યોગ અંગો અને અવયવોને કાર્યરત બનાવીને શરીરની આંતરિક પ્રક્રિયાઓ પર શુભ અસર કરે છે. યોગ જીવન પ્રત્યેની માનવીની દ્રષ્ટિમાં અને તેના અભિગમમાં શુભ ફેરફારો ઉત્પન્ન કરે છે. યોગ શબ્દ હ્યુજ ધાતુ ઉપરથી બન્યો છે, જેનો અર્થ જોડાણ કે સંધાન થાય છે. યોગ ઘ્વારા આત્મા અને પરમાત્માનું જોડાણ થાય છે.
આપણાં ઋષિમુનીઓએ શરીર, મન અને પ્રાણની શુદ્ધિ તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગના આઠ અંગો સૂચવ્યા છે. આ આઠ અંગો છે ::
૧. યમ
૨. નિયમ
૩. આસન
૪. પ્રાણાયામ
૫. પ્રત્યાહાર
૬. ધારણા
૭. ધ્યાન
૮. સમાધિ . .






યોગના ૮ અંગો નું વિસ્તૃત વર્ણન

(1) યમ'યમ' નો અર્થ થાય છે ; યમ પાંચ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. મન, વચન અને કર્મ દ્વારા કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોચાડવું એટલે 'અહિંસા'. મનમાં જે સમજ્યા હોય, આંખ વડે જે જોયું હોય અને કાન વડે જે સાભળ્યું હોય તેની તેજ રીતે કોઈ વસ્તુને રજુ કરી દેવી એનું નામ 'સત્ય'.'અસ્ત્યેય' એટલે મન, વચન કર્મથી ચોરી ન કરવી અને બીજા ના ધનની લાલચ ન કરવી. સમસ્ત ઇન્દ્રિયો સહિત કામવિકાર પર સંયમ રાખવો તેનું નામ 'બ્રહ્મચર્ય' જયારે 'અપરિગ્રહ' એટલે ભોગસામગ્રીનો ત્યાગ .
(2) નિયમ
નિયમ પણ પાંચ છે. :: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણીધાન.
'શૌચ' એટલે શરીર અને મનની પવિત્રતાઅનુકુળ કે પ્રતિકુળ સ્થિતિમાં પણ પ્રસન્નચિત રહેવાના ગુણને 'સંતોષ' કહેવામાં આવે છે. સુખ - દુ:ખ, ઠંડી-ગરમી જેવી તકલીફોને સહન કરીને કરવામાં આવતી તન અને મનની સાધનાને 'તપ' કહેવાય છે.વિચાર-શુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે જે વિચારોનું આદાન - પ્રદાન કરવામાં આવે તેને 'સ્વાધ્યાય' કહેવામાં આવે છે. જયારે મન, વાણી અને કર્મથી ઈશ્વરની ભક્તિ કરવી અને સર્વ કર્મો ઈશ્વરને સોપવામાં 'ઈશ્વરપ્રણીધાન' કહેવામાં આવે છે.
(3) આસન
શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાત ની શરીરની સ્થિતિને આસન કહેવામાં આવે છે. આસન કરવાથી નાડીઓની શુદ્ધિ, સ્વાસ્થ્યની વૃદ્ધિ અને તન-મનની સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. આસનો અનેક છે. પરંતુ વ્યક્તિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ૬૫ આસનોની ચર્ચા કરવામાં આવી છે.
(4) પ્રાણાયામ
'પ્રાણાયામ' નો શાબ્દિક અર્થ 'પ્રાણ પરનો કાબૂ' થાય છે. આ રીતે પ્રાણાયામ નો ઉદ્દેશ શરીરમાં વ્યાપ્ત પ્રાણશક્તિને ઉત્પ્રેરિત, સંચારિત, નિયમિત અને સંતુલિત કરવાનો હોય છે. જેવી રીતે શરીરની શુદ્ધિ માટે સ્નાનની જરૂર હોય છે તેવી રીતે મનની શુદ્ધિ માટે પ્રાણાયામની જરૂર હોય છે.
(5) પ્રત્યાહાર
જે અવસ્થામાં ઇન્દ્રિયો પોતાના બાહ્ય વિષયોમાંથી મુક્ત થઇને અંતર્મુખી બને છે તે અવસ્થાને 'પ્રત્યાહાર' કહેવામાં આવે છે. એનાથી પ્રબળ મન અને સ્વેચ્છાચારી ઇન્દ્રિયો શાંત બને છે. ભગવાનની અપાર શક્તિઓનો આભાસ થાય છે અને સાધક ઈશ્વરમાં લીન થાય છે.
(6) ધારણા
શુદ્ધ ચિતને ઈષ્ટદેવની મૂર્તિમાં કે પ્રદેશમાં લગાવી દેવું તેને ધારણા કહેવામાં આવે છે. ધારણાની મદદથી શાંત ચિતને કોઈ એક જગ્યા ઉપર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય છે.
(7) ધ્યાન
ધારણા દ્વારા ચિત્તવૃતિને જે વિષયમાં લગાવી હોય તે વિષયમાં તેને સતત ચાલુ રાખવી તેને 'ધ્યાન' કહેવામાં આવે છે. ધ્યાનની મદદથી મનના રાજસ તેમજ 'મલ' નાશ થાય છે અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે.
(8) સમાધિ
જયારે માત્ર ધ્યેય - સ્વરૂપનું ભાન રહે ત્યારે ધ્યાનમાંથી 'સમાધિ'ની સ્થિતિ સર્જાય છે. ચિત ધ્યેયાકારને પ્રાપ્ત કરે -ધ્યેયમાં તન્મય થઇ જાય છે. વિક્ષેપો અર્થાત 'સાંસારિક પ્રલોભનો - વિક્ષેપોને' લીધે ચિતની એકાગ્રતા ઓછી થાય છે એટલા માટે શક્ય હોય તેટલું વિક્ષેપોથી દુર રહી ચિતની એકાગ્રતા વાદહ્રવી જોઈએ. સમાધિ ધ્યાનની ચરમસીમા છે.

ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેયના સમુહને યોગશાસ્ત્રમાં 'સંયમ' કહેવામાં આવે છે, જયારે પહેલા પાંચ અંગો - યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રતાયાહારને 'બહિરંગ યોગ' કહેવામાં આવે છે.
આમ આસનો એ અષ્ટાંગ યોગનું માત્ર એક અંગ છે. યોગાભ્યાસી કહેવાતા અનેક લોકો ખરેખર તો માત્ર આસનો જ કરતા હોય છે. પરંતુ યોગના આઠે અંગો મહત્વના છે. બધા અંગો એકસાથે અપનાવવાથી આસનો એ પ્રાણાયામ ધ્વારા થતા લાભો વધુ પ્રમાણમાં અને સ્થાયીરૂપે થાય છે.
આ આઠેય અંગોને સમજપૂર્વક જીવનમાં ઉતારવામાં આવે તો મનુષ્યની અંદર ધર્મપારાયણતા, સદાચારીપણું અને સચ્ચારીત્રાય જેવા ઉદાત ગુણો વિકસે છે તેમજ મનુષ્યની માનસિક, શારરિક અને આધ્યાત્મિક ઉન્નતી થાય છે તથા તે સંપૂર્ણ રીતે શારરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવે છે.