27 June 2015

ભેદભાવ ઉભા કરનારી અમારી બુધ્ધિને કુંઠીત કરજો.

એક વર્ષો જુનુ મંદિર હતુ. કેટલાક શ્રધ્ધાળુઓએ સાથે
મળીને આ મંદિરના જીર્ણોધ્ધારની કામગીરી શરુ
કરી. મંદિરમાં વર્ષોથી રહેતા કબુતર મુંઝાયા કે હવે
આપણે રહેવા માટે ક્યાં જઇશું ?
બાજુમાં આવેલી મસ્જીદમાં રહેતા કબુતરોને આ
વાતની ખબર પડી એટલે ત્યાંથી કેટલાક કબુતરો
આવ્યા અને મંદિરમાં રહેતા કબુતરોને થોડા મહિના
મસ્જીદમાં રહેવા આવવા માટે આમંત્રણ પાઠવ્યુ.
મંદિરના બધા જ કબુતરો રહેવા માટે મસ્જીદમાં
ગયા.
આ જ વિસ્તારમાં એક ચર્ચ પણ આવેલુ હતુ. ચર્ચના
કબુતરોને પણ મંદિરના કબુતરો અત્યારે મસ્જીદના
કબુતરો સાથે આશરો લઇ રહ્યા છે એ વાતના સમાચાર
મળ્યા. ચર્ચના કેટલાક કબુતરો મસ્જીદમાં ગયા અને
ત્યાં આશરો લઇ રહેલા મંદિરના કબુતરઓને થોડા
દિવસ ચર્ચના મહેમાન બનવા વિનંતી કરી. મંદિરના
કબુતર થોડા દિવસ રહેવા માટે ચર્ચમાં પણ ગયા.
મંદિરના આ કબુતરો થોડા દિવસ ગુરુદ્વારાના
કબુતરોના પણ મહેમાન બન્યા અને થોડા દિવસ
દેરાસરના કબુતર સાથે પણ રહી આવ્યા. મંદિરનું
બાંધકામ પૂર્ણ થતા કબુતર ફરીથી પોતાના મૂળ
સ્થાને પરત ફર્યા. કબુતરના એક નાના બચ્ચાએ
એમના વડીલને પુછ્યુ , " દાદા, આપણે થોડા મહીના
સુધી બધી જગ્યાએ ફર્યા ત્યાં મેં જોયુ કે જે લોકો
મંદિરમાં આવે એને હિન્દુ કહેવાય, મસ્જીદમાં આવે એને
મુસ્લીમ કહેવાય, ચર્ચમાં આવે એને ઇસાઇ કહેવાય,
ગુરુદ્વારામાં આવે એને શીખ કહેવાય અને દેરાસરમાં
જાય તો એને જૈન કહેવાય આવુ કેમ ? "
વડીલ કબુતરે કહ્યુ , " બેટા, એ બધા જુદા-જુદા ધર્મ
પાળે છે માટે જુદા-જુદા નામે ઓળખાય છે." નાના
બચ્ચાને સંતોષ ન થયો એટલે એણે બીજો પ્રશ્ન કર્યો,
" દાદા, આપણે મંદિરમાં હોઇએ ત્યારે પણ કબુતર
કહેવાય અને મસ્જીદમાં હોય ત્યારે પણ કબુતર જ
કહેવાઇએ. જેમ આપણે બધા જ કબુતરો એક સરખા
દેખાઇએ છીએ એમ આ લોકો પણ દેખાવમાં એક સરખા
જ છે તો પછી એ મંદિરમાં જાય કે મસ્જીદમાં જાય
ત્યારે હીંદુ-મુસ્લીમને બદલે માણસ તરીકે કેમ ન
ઓળખાય ? "
વડીલ કબુતરે નાના બચ્ચાને વહાલ કરતા કહ્યુ , " બેટા
આપણે કબુતર બુધ્ધીવગરના પક્ષીઓ છીએ અને
માણસો બહુ બુધ્ધિશાળી છે એટલે એમણે એમની
બુધ્ધિનો ઉપયોગ કરીને ભેદભાવો ઉભા કર્યા છે."
હે પ્રભુ, બસ આપને એટલી જ પ્રાર્થના છે કે ભેદભાવ
ઉભા કરનારી અમારી બુધ્ધિને કુંઠીત કરજો અને
આપની રચેલી સૃષ્ટિના પ્રત્યેક માનવને પ્રેમ કરી
શકીએ એવી કબુતર જેવી સમજ આપજો.