5 January 2016

ધ્યેય પ્રાપ્તિની તિવ્ર ઝંખના હોય અને ધ્યેય સિવાય બીજા કોઇ જ વિચાર ન આવે ત્યારે સફળતા મળે.


એક યુવાન સોક્રેટીસને મળ્યો. એણે સોક્રેટીસને પુછ્યુ, “ આપ ખુબ વિદ્વાન અને અભ્યાસુ છો મારે આપની પાસેથી જાણવું છે કે સફળતાનુ રહસ્ય શું છે?” સોક્રેટીસે કહ્યુ , “ સફળતાનું રહસ્ય જાણવું હોઇ તો તારે મારી સાથે આ નગરની બહાર આવેલા તળાવ પર આવવું પડશે” પેલો યુવાન આ માટે તૈયાર થયો એટલે સોક્રેટીસ એની સાથે ગામની બહાર આવેલા તળાવ પર ગયા.
સોક્રેટીસે યુવાનને કહ્યુ મારી સાથે તળાવના પાણીમાં ચાલ. થોડા ઉંડા પાણીમાં ગયા પછી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથનું માથુ પકડીને પાણીમાં ડુબાડ્યુ હતુ એવી જ રીતે સોક્રેટીસે આ યુવાનનું માથુ પકડીને પાણીમાં ડુબાડ્યુ. યુવાનતો ડઘાઇ જ ગયો. સોક્રેટીસ પુરી તાકાતથી માથુ દબાવી રહ્યા હતા અને પેલો યુવાન બહાર આવવા માટે પુરા પ્રયાસ કરતો હતો. છેવટે પોતાના જીવ પર આવીને અને તમામ તાકાત લગાવીને સોક્રેટીસને ફેંકી દીધા અને પાણીની બહાર આવી ગયો.
યુવાને બહાર નિકળીને સોક્રેટીસને ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા. સોક્રેટીસે કહ્યુ , “ ભાઇ તારા આ ગુસ્સાને હું સમજી શકુ છુ પરંતું તારા આ સવાલનો જવાબ મારે બહુ સરળ રીતે આપવો હતો આથી મારે તારા પર આ પ્રયોગ કર્યો.”
યુવાન કહે , “ સફળતાના રહસ્યને અને આ પ્રયોગને શું લેવા દેવા ? સોક્રેટીસ કહે , “ તું જ્યારે પાણીમાં હતો ત્યારે તને સૌથી વધુ શાની જરુર હતી ?” યુવાન કહે , “ મને એકમાત્ર ઓકસિજનની જ જરુર હતી” સોક્રેટીસ કહે , “ તે સમયે તને ઓક્સિજન સિવાય બીજા ક્યા-ક્યા વિચારો આવતા હતા?” યુવાન કહે , “ શું વાત કરો છો તમે , આવી દશામાં ઓક્સિજન સિવાય બીજા કોઇ વિચાર આવે ખરા?”
સોક્રેટીસ કહે , “ બસ , બેટા સફળતાનું આ જ રહસ્ય છે. ધ્યેય પ્રાપ્તિની તિવ્ર ઝંખના હોય અને ધ્યેય સિવાય બીજા કોઇ જ વિચાર ન આવે ત્યારે સફળતા મળે.”

સફળ થવા માટે માત્ર ઇચ્છા હોઇ તેનાથી ના ચાલે ઇરાદો હોવો જોઇએ. અંદર એક આગ લાગવી જોઇએ અને એ આગમાં ધ્યેયપ્રાપ્તિના વિચાર સિવાયના બાકીના બધા જ વિચાર બળી જવા જોઇએ.