2 April 2016

આખી પૃથ્વી પર કાંટા વેરાયેલા હોય ત્યારે એને ચામડેથી ન મઢી શકાય આપણા પગમાં જુતા પહેરી લઇએ તો...

એક પિતા પોતાના દિકરાને માનવતાના પાઠ ભણાવી રહ્યા હતા. આ જગતમાં એક માણસ તરીકે આપણું કર્તવ્ય શું છે અને આપણે કેવી રીતે જીવન જીવવું જોઇએ એ બાબતે દિકરાને સમજાવી રહ્યા હતા.

દિકરાએ કહ્યુ, " પપ્પા, હવે જમાનો બદલાય ગયો છે. આ તમારી નૈતિક મૂલ્યોની વાતો આજના સમયમા બિલકુલ બિનઉપયોગી છે. આખી દુનિયા ભ્રષ્ટાચારી હોય તો તમે એકલા પ્રામાણિક કેવી રીતે રહી શકો. જો દુનિયાની સાથે કદમ ન મીલાવો તો તમે એકલા બીજા બધા લોકો કરતા સાવ જુદા પડી જાવ.આખી દુનિયા બગડેલી હોય એમાં આપણે એક કેવી રીતે સારા રહી શકીએ ? "

પિતાએ દિકરાની બધી જ વાત શાંતિથી સાંભળી પછી કહ્યુ, " બેટા, તારી વાત સાચી છે. બધા ખરાબ માણસોની વચ્ચે આપણે એક સારા ન રહી શકીએ. આપણે પણ આપણી જાતને બદલવી જ પડે. બેટા, મારે તને એક સામાન્ય સવાલ પુછવો છે." દિકરાએ કહ્યુ, " જે પુછવુ હોય તે પુછો પપ્પા." પિતાએ પુછ્યુ, " બેટા, અમુક લોકોને બાદ કરતા દુનિયાના મોટા ભાગના લોકો આંધળા હોય તો જે થોડા લોકો જોઇ શકે છે એમણે એમની આંખો ફોડી નાંખવી જોઇએ કે કેમ ? "

દિકરાએ તુરંત જ કહ્યુ, " પપ્પા, તમે પણ કેવી ગાંડા જેવી વાત કરો છો. બીજા આંધાળા હોય તો એમાં દેખતાએ કંઇ થોડી એમની આંખો ફોડી નાંખવાની હોય ! દેખતા લોકોએ તો પોતે જે જોઇ શકે છે એનો આનંદ લેવાનો હોય અને શક્ય બને તો આંધળાઓને રસ્તો બતાવવાનો પ્રયાસ કરવાનો હોય."

પિતાએ દિકરાના માથા પર હાથ ફેરવતા કહ્યુ, " બેટા, દુનિયાના લોકો નાલાયક હોય તો આપણે આપણી સારપ છોડીને નાલાયકી ન સ્વીકારી લેવાય આપણે આપણું નિતિમતાપૂર્વકનું જીવન જીવવાનું ચાલુ જ રખાય.જો શક્ય બને તો માર્ગ ભૂલેલાને મદદ કરાય આપણે એમના પ્રવાહમાં ભળી ન જવાય."

મિત્રો, આપણી આસપાસના લોકો અને એમની મનોવૃતિઓને જોઇને આપણને પણ એમ જ થાય છે કે હું એકલોકે એકલી શું કરુ ? આખી પૃથ્વી પર કાંટા વેરાયેલા હોય ત્યારે એને ચામડેથી ન મઢી શકાય એ વાત સાચી પણ આપણે આપણા પગમાં જુતા પહેરી લઇએ તો આપણને વાગતા બંધ થઇ જાય એ પાક્કુ.